જાંબાઝ મહિલા પીએસઆઇ

જાંબાઝ મહિલા પીએસઆઇ

- in Shakti
1755
Comments Off on જાંબાઝ મહિલા પીએસઆઇ

‘સ્ત્રી જો ધારે તો પોતાની પ્રગતિનો પંથ પોતે જ બનાવે, ફૂલની જેમ જગતમાં
સુગંધ પ્રસરાવે, સૂરજની જેમ જ્ઞાનનો ઉજાસ પ્રગટાવે, તારલાની જેમ
સૃષ્ટિને ચમકાવે, ઝરણાંની જેમ પ્યાસ બુઝાવે, પંખીની જેમ ઊંચા શિખરો પાર કરે.’
કારણ કે, સ્ત્રીની શક્તિ તેના તનમાં નહિ પણ તેના મનમાં છે.

આ લેખની શરૂઆતમાં ચાલો હું આપને કલમના કેમેરા વડે એક દૃશ્ય દેખાડું.. ગાઢ વનરાજીમાં એક માતેલો સાંઢ આરામની નિંદર માણી રહ્યો છે. આસપાસના વાતાવરણથી બેખબર આ નઘરોળના નસકોરાં વાતાવરણની શાંતિને ડહોળી રહ્યા છે ને સાપની ચૂપકીદીથી ચારેક ગાયો રણચંડી બની એને ઘેરો ઘાલીને ઊભી છે.

તમને થશે કે આ તે વળી કેવું દૃશ્ય? તો આ દૃશ્યનો ખુલાસો કરી જ દઉં… હકીકતમાં તો હમણાં થોડાંક સમય પહેલાં જ ન્યૂઝપેપરમાં સમાચાર આવ્યા હતા કે જૂનાગઢ, રાજકોટ, અમદાવાદમાં પોલીસના નાકે દમ લાવનાર જૂનાગઢના મહંતનો હત્યારો ભાગેડુ આરોપી જુસબ અલ્લારખાંને અમદાવાદ એટીએસ (એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ)ની ચાર જાંબાઝ મહિલા પીએસઆઇએ ઊંઘતો ઝડપી પાડ્યો. ત્રણ શહેરોની પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સાથે સંતાકૂકડી રમતો આ જુસબ આખરે એટીએસની આ ચાર મહિલા પીએસઆઇના હાથે પકડાઇ ગયો. આ ગુજરાતી વીરાંગના છે.. સંતોક ઓડેદરા, નિત્મિકાબા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા માલ, જેઓએ આ ખૂંખાર આરોપીને ઝડપીને સાબિત કરી દીધું કે ગુજરાતી સ્ત્રી એ ફક્ત ગરબા-હાંડવો-ખમણ-ઢોકળા કે ખાખરા નથી કરતી, ગુજરાતના ગીરની સિંહણ જેટલી જ શક્તિશાળી પણ છે.
ફીલિંગ્સના પ્રતિનિધિ સાથેની મુલાકાત દ્વારા જાણીએ ગરવી ગુજરાતની આ સિંહણોના જીવનની એક ઝલક…
તમે અહીં આપેલા ફોટામાં જોશો કે હાથમાં એકે-47 લઇને ઊભા છે એે સંતોક ઓડેદરા છે. મૂળ જામનગરના લાખાબાવડના સંતોકબેને સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા બાદ રાજકોટમાં ગ્રેજ્યુએશન કર્યું. સૌરાષ્ટ્ર યુનિ.માંથી માસ્ટર ઓફ જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ પૂરો કરીને તેમણે કાલાવાડ તાલુકામાં તલાટી તરીકેની દોઢ વર્ષ સુધી નોકરી કરી અને તે પછી સેલટેક્સ વિભાગમાં (વેચાણવેરા વિભાગમાં) ક્લાર્ક તરીકેની નોકરી કરી. પરંતુ બાળપણથી જ એમને પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રત્યે એક અનેરું આકર્ષણ હતું. તેમણે નાનપણથી જ નક્કી કર્યું હતું કે મોટા થઇને પોલીસ ઓફિસર બનવું છે. વર્ષ ર013ની બેચના સંતોકબેન એમની મહેનત અને યોગ્યતાને આધારે આજે એટીએસના પીએસઆઇ પદ સુધી પહોંચ્યાં છે. એમનાં ઘરને ક્યારેય ક્યાંય પણ પોલીસ સાથેનો કોઇ સંબંધ નહોતો, જેને જોઇને પોલીસ બનવાની પ્રેરણા મળે. પરંતુ તેમની અથાગ મહેનત-ધગશ રંગ લાવી અને સંતોકબેન આજે પોતાનું સેવેલું સપનું માણી રહ્યાં છે. દેશની સેવા કરીને હાલમાં અમદાવાદ એટીએસ ખાતે સેવા આપી રહ્યાં છે.
નિત્મિકાબા ગોહિલ, જેઓ વર્ષ ર010ની બેચના પીએસઆઇ છે. મૂળ ભાવનગરના સોનગઢના વતની એવા નિત્મિકાબાના પિતા દશરથસિંહ ઈન્સ્પેક્ટર હતા, નાનપણથી જ પિતાને ઇન્સ્પેક્ટર તરીકે જોતાં નિત્મિકાબા પિતાને વિવિધ જગ્યાએ મળતા પોસ્ટિંગ સ્થળે તેમની સાથે જતા હતા. ત્યારથી જ મોટા થઇને પિતાની જેમ પોલીસ ઇન્સ્પેકટર બનવાનું બીજ તેમણે મનમાં રોપી દીધું હતું… જે આજે અમદાવાદની એટીએસ ઓફિસમાં વૃક્ષમાં પરિણમેલું જોઇ શકાય છે. બી.એ. વિથ ઇંગ્લિશ લિટરેચરના અભ્યાસ બાદ તેમણે એલએલબીનો અભ્યાસ કર્યોે. બાદ ર010ની બેચના તેઓ પીએસઆઇ બન્યા. પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે પરિવારનો સહયોગ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે… આ અંગે જણાવતાં નિત્મિકાબા કહે છે કે, અમારા પરિવારમાં નાનપણથી જ દીકરા-દીકરીનો ઉછેર સમાન રીતે કરવામાં આવે છે. એ જ રીતે અમારા બધા ભાઇ-બહેનોના ઉછેરમાં ક્યાંય કોઇ ભેદ નહોતો રખાયો.. અને આ સમાન ઉછેરે જ મને પોલીસ ટ્રેનિંગમાં કોઇ તકલીફ પડવા દીધી નથી. નિત્મિકા નામનો અર્થ છે સદા ખુશ રહેવું.. અને ખરેખર એ જ પ્રમાણે હસમુખા સ્વભાવના છે નિત્મિકાબા ગોહિલ.
શકુંતલા માલ મૂળે ફતેપુરા-દાહોદના. પરંતુ મમ્મી મોરબીમાં નોકરી કરતાં હોવાના કારણે શરૂઆતનું શિક્ષણ તેમણે મોરબીમાં જ લીધું. ત્યાર બાદ નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વડોદરામાં લઇ દાહોદમાં કોલેજનો અભ્યાસ પૂરો કરીને અમદાવાદમાં એમએસસીનું શિક્ષણ લીધું. આમ ફરતાં ફરતાં શિક્ષણ પૂરું કર્યું. પરિવારમાં નાનાજી એટલે કે મમ્મીના પપ્પા પીએસઆઇ હતા એમને જોઇને પોતે પણ એક દિવસ પીએસઆઇ બનશે એવું નક્કી કર્યું હતું અને બાળપણનો આ સંકલ્પ તેમણે સાકાર કર્યો વર્ષ ર013ની બેચના પીએસઆઇ બનીને.
વર્ષ ર013ની બેચના અરુણા ગામેતી મૂળ સાબરકાંઠાના. પરંતુ અભ્યાસ અમદાવાદ-ગાંધીનગરમાં કર્યો. એમ.એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ પોલીસ ખાતામાં જોડાયાં. પિતા સચિવાલયમાં નોકરી કરે, પરંતુ બાળપણથી જ સમાજ માટે કંઇક કરવાની ઇચ્છાએ એમને પીએસઆઇ બનાવ્યાં.

પીએસઆઇ બનતાં પહેલાં 13 મહિના ટ્રેનિંગ લેવી પડતી હોય છે અને ત્યાર બાદ 3 મહિનાની કમાન્ડો ટ્રેનિંગ લેવી પડે છે. આ ચારેય મહિલા પીએસઆઇ જણાવે છે કે અમારી ટ્રેનિંગની એક-એક પળ યાદગાર છે. સૌ પ્રથમ તો એક મહિલા હોવાના નાતે પીએસઆઇની ટ્રેનિંગમાં કોઇપણ પ્રકારની છૂટ કે ઢીલાશ રાખવામાં નથી આવતી. સ્ત્રી કે પુરુષ બંનેની ટ્રેનિંગ એકસરખી અને સમાન જ હોય છે. એટલે કે જીવનમાં સમાનતાનો પહેલો પાઠ અહીં શીખવા મળે છે. જે તે ટાસ્ક-કાર્ય સોંપવામાં આવે તેનો સમય નિર્ધારિત કરેલો હોય છે જેમાં સેક્ધડ પણ આગળ-પાછળ ચલાવી લેવામાં નથી આવતું. ડાયેટ પણ પ્લાન કરેલું હોય છે. એ પ્રમાણે જ બધાને ખોરાક આપવામાં આવે છે. ગુજરાતમાં મોટાભાગે શાકાહારી ભોજન આપવામાં આવે છે. ટ્રેનિંગ દરમિયાન એ રીતે જ કેળવવામાં આવે છે કે અચાનક કોઇ પરિસ્થિતિ આવી પડે તો યદયિ-યિફમુ કઇ રીતે રહેવું. ફરજ પ્રત્યે સમર્પિતતાનો ભાવ જ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડે છે.
કઇ બાબત તમારા જુસ્સામાં વધારો કરે છે એનો જવાબ આપતાં આ મહિલા પીએસઆઇ જણાવે છે કે અમને જ્યારે કાર્ય સોંપવામાં આવે છે ત્યારે અમને અર્જુનની જેમ ફક્ત પક્ષીની આંખ જ દેખાય છે. એટલે કે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડવાનું જ છે. આ ઝનૂન જ અમને સફળતા તરફ દોરી જાય છે અને એમાંય યુનિફોર્મ ધારણ કરેલો હોય તો જુસ્સો અનેકગણો વધી જાય છે. આત્મવિશ્ર્વાસથી છલોછલ બની જઇએ છીએ એક ગજબની ઊર્જાનો અનુભવ થાય છે. બીજું કે પીછેહઠ કે થડકારો સહેજ પણ અનુભવાતો નથી. બસ મનમાં એક જ વાત ગૂંજ્યા કરે છે કે આ તો હું કરી જ શકીશ.
ગયા વરસે જાલીનોટના આરોપીને પકડવા માટે પશ્ર્ચિમ બંગાળમાં છેક બાંગ્લાદેશની સરહદ નજીક જવું પડયું હતું. અમને આરોપીની બાતમી મળી કે એ અમદાવાદથી જૂનાગઢ તરફ જવાનો છે. પૂરતી તૈયારી હોવા છતાં આરોપી નીકળી ગયો તો સંતોકબેન અને નિત્મિકાબાએ કાર દ્વારા પીછો કરી તેને ઝડપી પાડ્યો. એ સમયના અનુભવનું વર્ણન કરતાં સંતોકબેન જણાવે છે કે એટીએસના પીએસઆઇ તરીકે અમે હંમેશાં એકાદ હથિયાર તો સાથે રાખતા જ હોઇએ છીએ અને આવા સમયે જ અમને અમારી યદયિ-યિફમુની ટ્રેનિંગ કામ લાગતી હોય છે કે ફટાફટ અન્ય સાધનસામગ્રી લઇ મિશન પર નીકળી શકીએ.

જીવનના દરેક ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષનો ક્યાંક ને ક્યાંક ટકરાવ થતો જ હોય છે. તો એ બાબતને ઇગ્નોર કરી આગળ વધી જવું. આપણે નહીં આપણું કામ બોલવું જોઇએ. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ગૌણ બની જાય છે. જ્યારે તમે કોઇપણ લક્ષને પામવા ચાલી નીકળો છો તો માર્ગમાં વિઘ્નો તો આવવાના જ છે. રસ્તામાં પડેલા પથ્થરથી અથડાઇને ઠોકર ખાઇને પડવું નહીં પરંતુ પથ્થર પર પગ મૂકી એને પગથિયું બનાવી આગળ વધવું જોઇએ. આવું માનનાર અને જીવનમાં પ્રેક્ટિકલી રહેનાર આવી મહિલાઓ જીવનમાં 100 ટકા આગળ વધે જ છે અને વધવું જ જોઇએ.
આ મહિલા પીએસઆઇના જીવનનો પણ આ જ ધ્યેય છે કે જીવનમાં આવતી તમામ ચેલેન્જને સ્વીકારો – પોતે જ પોતાના રોલ મોડેલ બનો. સાથે સાથે તેઓ આજની યુવતીઓ અને મહિલાઓને ખાસ જણાવે છે કે જીવનમાં ના કહેતાં શીખવું જોઇએ. ગજ્ઞ ખયફક્ષત ગજ્ઞ. દરેક દીકરીઓએ સેલ્ફ ડિફેન્સ શીખવું જ જોઇએ. પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને, પડકારોને ઝીલવા જોઇએ. કોઇને અન્યાય કરવો નહીં અને કોઇનો અન્યાય સહેવો પણ નહીં. અન્યાય પોતે જ પોતાના રૂપે એક ગુનો છે. માટે અન્યાય કરનાર અને સહેનાર બંને ગુનેગાર છે. દરેક સ્ત્રીએ પોતે પોતાની રીતે પગભર રહેવું જ જોઇએ. ફક્ત આર્થિક કમાણી માટે જ નહીં પરંતુ પોતાના સ્વમાન માટે પોતે જ પગભર થવું જોઇએ.
તે છતાં આજે સ્ત્રીઓની તરફેણમાં ઘણા કાયદા અને સરકારની યોજનાઓ છે. 100, 181 વગેરે નંબરની સુવિધાઓ છે જે મદદ પૂરી પાડે છે. દરેક મહિલાએ આ બધાથી માહિતગાર હોવું જ જોઇએ. સમય આવે ત્યારે આ સેવાનો ઉપયોગ કરી શકાય છે. યાદ રહે, આજના સમયમાં સ્ત્રી પહેલાંની જેમ સહેજ પણ બિચારી નથી. ભગવાને બધી જ ક્ષમતા તેને પણ આપી છે. જો સ્ત્રી નવસર્જન કરી શકે છે, તો બીજું કોઈ પણ કામ તેના માટે અશક્ય નથી, માટે ઇય બફિદય.
સમગ્ર નારી જાતિ માટે પ્રેરણારૂપ બનનાર અને દેશને ગૌરવ અપાવનાર આ ચારેય જાંબાઝ મહિલા પીએસઆઇને ફીલિંગ્સ સેલ્યુટ કરે છે.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો