કેરી સંયમથી ખાઓ તો અમૃતફળ

કેરી સંયમથી ખાઓ તો અમૃતફળ

- in Other Articles
4688
Comments Off on કેરી સંયમથી ખાઓ તો અમૃતફળ

કાન્તિ ભટ્ટ

બરસ બરસ (વર્ષે-વર્ષે) વહ દેશમેં આવે

મુંહ સે મુંહ લગા રસ પ્યાવે

વાહ, મેરે ખાતર વહ ખર્ચે દામ…..

હે રી સખી!..યહ કૌન હૈ..

તેરા સાજન?

નહીં રે સખી, વહ તો હૈ

મૌસમ કા આમ..

કેરી… સૌનું મનગમતું ફળ ઉનાળામાં અમૃતફળ સમાન છે. એપ્રિલની શરૂઆતથી જ લોકો કેરી આરોગવા માંડે છે. એમાંય સૌરાષ્ટ્ર-કચ્છની દેશી કેરી ખાવાની તો મજા જ કંઇ ઓર છે. હાફૂસ, પાયરી જેવી અનેક કેરીઓ કાપીને ખાવાની હોય છે. ઘોળીને ખાવાની જૂનાગઢ-ગીરની કેરી પણ મજેદાર હોય છે.

ઉપરની જૂની શાયરી આજેય ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ તેમજ દિલ્હીમાં ગવાય છે. એક સખી બીજી સખીને કહે છે કે, દર વરસે મને પ્રિય એવી એક ચીજ ઉનાળામાં આવે છે અને એને હું મોંએ લગાવીને ઘોળી ઘોળીને એના સ્વાદને માણું છું… સખી પૂછે કે, શું એ તારો પ્રિતમ છે? તો સખી કહે છે, ના સખી, ના, એ તો આ મોસમની મીઠી દેવગઢની કેરી છે!!

હવે કેરીની મોસમ ફૂલ ફોર્સમાં શરૂ થઇ ગઇ છે. ભાગ્યશાળી લોકો તો એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કેરી આરોગવા માંડ્યા હતા. કેરી એ ભારતનું જાણે રાષ્ટ્રીય ફળ છે. શ્રેષ્ઠ કેરી એ દેશી કેરી.. સૌરાષ્ટ્ર-કચ્છની છે. હાફૂસ, પાયરી અને બીજી ગુજરાતની કેરીઓ કાપીને ખાવાની હોય છે ત્યારે જૂનાગઢ અને ગીરની કેરી ઘોળી ઘોળીને ચૂસવાની હોય છે. ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતાં ત્યારે ગીરના જંગલમાં સિંહ જોવા આવ્યા હતા. ત્યારે હું પત્રકાર તરીકે ગયો હતો. હું જ્યારે દેશી કેરી ખાતો હતો તે જોઇ ઇન્દિરા ગાંધીએ પણ ઘોળવાની કેરી મંગાવી ખૂબ જ રસથી તેની મજા લીધી હતી.

મારી પાસે લેખિકા કુસુમ બુધવારનું પુસ્તક ‘રોમાન્સ ઓફ મેંગોઝા’ છે તે જાણે કેરી વિશેની તમામ માહિતીનો ર90 પાનાનો એન-સાઇક્લોપીડિયા છે. પણ એક વાત યાદ રાખજો કે આજે તમે મુંબઇ, વડોદરા, અમદાવાદ કે આણંદ કે બીજા શહેરમાં 2017માં વસતા હો તો પુસ્તકોમાં કેરીના ફાયદા જોઇ કેરી ઝાપટવા (ખાવા) માંડશો નહીં. આજે ર017માં કેરી એ કાંઇ પેટ ભરીને ઝાપટવાની ચીજ રહી નથી. એક તો આજની હાફૂસ કે પાયરી કે સૌરાષ્ટ્રની કેરી પહેલાં જેવી ઓર્ગેનિક રહી નથી. આજે તમે કેરીના જૂના છાપેલા ગુણગાન વાંચશો તો તમને અનેક વિશેષતા મળશે.

* ઘણી વેબસાઇટ કેરીને નેચરલ એફ્રોડિઝીયાક્સ કહે છે તે સાચું છે. એફ્રોડિઝીયાક એટલે કામોત્તેજક કરનારી મીઠી મધુરી ખાદ્ય ચીજો!

* અંગ્રેજી આરોગ્યશાસ્ત્રીઓ કહે છે કે જે જે ખાદ્ય પદાર્થો વિટામીન ‘એ’ અને ‘ઇ’ ધરાવે છે તે તમારી કામેચ્છા વધારે છે અને લીવરને સુધારે છે. મતલબ કે કેરી તમારા બગડેલા લીવરને સારું કરે છે. ઘણા લોકો કેરીને ઝાડ ઉપર પાકતી ‘વાયગ્રા’ કહે છે. એટલે દવાની દુકાનેથી વાયગ્રા કે દેશી વાયગ્રા ખરીદીને પેટ બગાડશો નહીં. કેરીની મોસમમાં કેરી ખાજો. વૈધને પૂછતા રહેજો.

* છેક મલેશિયામાં હું પિનાંગ શહેરમાં હતો ત્યારે કેરીની મોસમમાં મદ્રાસથી કેરી આયાત કરતા હતા. પણ કેરીની મજા ભેગા મળીને સાંજે કુંડાળું બનાવીને ખાવામાં વધુ આવે છે. એટલે કે કેરી એકલા એકલા ખાવાની ચીજ નથી.

* મૂળ અમરેલીના પટેલ ડો. ભાસ્કર સવાણી અને તેમના ભાઇઓ ફિલાડેલ્ફિયા ડેન્ટિસ્ટ્રીમાં ખૂબ કમાય છે પણ અમરેલીમાં તેમના વતનના ગામડાને ભૂલ્યા નથી. ફિલાડેલ્ફિયામાં સૌરાષ્ટ્રની કેસર કેરી આયાત કરીને તેઓ જ્યોર્જ બુશ, બરાક ઓબામા અને હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સૌરાષ્ટ્રની કેસર કેરી કે દેવગઢની હાફૂસ કેરી ખવરાવે છે.

* કેરીને પૃથ્વીનું અમૃત ફળ કહે છે અને તે માટે સૌરાષ્ટ્રના લોકો કહે છે કે કેરી એ ખાવા કરતાં ખવરાવવાની ચીજ વધુ છે અને તે ભેગા મળીને ખાવાની ચીજ છે.

* મારી પાસે હૈદરાબાદના ડો. અમાનનું ફૂડ વેલ્યુ વર્ણવતું પુસ્તક છે. તેમાં કેરીના ગુણગાન ગાયા છે. જે તાજા યુગલને લગ્ન પછી જલદી સંતાન ન થતું હોય તેણે કોઇ આયુર્વેદના વૈદ્યને ક્ધસલ્ટ કરીને કેરી-દૂધનો કલ્પ કરવો જોઇએ. આ માટે કોઇ રિલાયેબલ વૈદ્યની સલાહ લઇ શકાય.

* જગતમાં પ00 જાતની વેરાયટીવાળી કેરી પાકે છે. પણ ભારતમાં તેમાંથી બેસ્ટ 3પ જાતની કેરી પાકે છે. તેમ ડો. અમાન તેમના પુસ્તક ‘મેડિસિન્સ સિક્રેટ્સ ઓફ યોર ફૂડ’માં લખે છે.

* લેટિન-અમેરિકા-મેક્સિકો-બ્રાઝિલ વગેરે દેશોમાં પણ કેરી પાકે છે. પણ તે સ્વાદમાં લગભગ ચીભડા જેવી હોય છે. ભારતમાં તો અનેક પ્રદેશમાં તો કેરીઓ માથું ભાંગે તેવી હોય છે. મહારાષ્ટ્રના દેવગઢની હાફૂસ, બંગાળની લંગડો, માલગોવા, નીલમ, શાહપસંદ, તોતાપુરી અને ખાસ તો હું જ્યાં મેટ્રિક સુધી ભણ્યો છું તે મોરારિબાપુના વતન તલગાજરડા નજીકના શહેરમાં મહુવાની અતિ અતિ રસદાર અને કાપવાની જમાદાર કેરી પાકે છે. મહારાષ્ટ્રમાં રત્નાગીરીની હાફૂસ કોઇ મિત્ર પાસેથી મંગાવીને રોજ રોટલી સાથે બટકા કરીને કરીને એક જ કેરી જમતી વખતે ખાજો.

* ભારતમાં આંબાનું વૃક્ષ આખેઆખું પવિત્ર ગણાય છે અને તેના મૂળથી પાન સુધી તમામ ભાગ માનવ જાતને ઉપયોગી છે. દા.ત. લગ્નમંડપમાં ચાર ફેરા ફરતી વખતે તાંબાના કળશ ઉપર આંબાના પાન રખાય છે. કોઇ માતાજી કે દેવની પધરામણી વખતે શ્રદ્ધાળુ હિન્દુઓ આંબાના પાનના તોરણ બનાવે છે. આંબાનું લાકડું પવિત્ર અગ્નિ આપે છે.

* તમે ભાગ્યશાળી હો અને તમને તાજી ઓર્ગેનિક કેરી મળી જાય તો તેનો ઔષધીય ઉપયોગ છે. ડો. અમાન કહે છે કે, આંતરડા અને લોહીના રોગોમાં કેરીનો ઔષધીય ઉપયોગ થાય છે.

* લંગડો કેરી કે બદામ કેરી અને અસલી સોરઠની કેસર કેરીમાં વિટામિન ‘સી’ હોય છે. કબજિયાતના જૂના દર્દીઓને ઉનાળો લાભપ્રદ છે. ઉનાળામાં માપસર ઓર્ગેનિક કેરી ખાવાથી તે ઔષધી બને છે.

* શાપુરમાં 89 વર્ષની ઉંમરે આયુર્વેદની ઔષધીય ચિકિત્સા કરનારા વૈદ્ય રવજીભાઇ વિસાવડિયા કાલાવડમાં 13 વીઘા જમીનમાં ઔષધીય વૃક્ષો ઉછેરે છે. મેં તેમને કેરીના ફળ તરીકેના ઔષધીય ફાયદા પૂછ્યા. ત્યારે રવજીભાઇએ જણાવ્યું હતું કે મે-જૂનમાં તેમણે ઘણા દર્દીઓને કેરીકલ્પ કરાવીને તેમના જૂના દર્દો સારા કર્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની કેસર કેરી હૃદયરોગ અને અનિદ્રાના વ્યાધિ માટે શ્રેષ્ઠ છે. ધ્યાન રાખજો, સવારે કેરી ખાઓ તો રસની કેરી ખાજો અને સૌરાષ્ટ્ર-ગુજરાતના હો તો બે કેરી ખાધા પછી એક ગ્લાસ ગાયનું દૂધ પી લેજો.

Facebook Comments

You may also like

Feelings Post – November 2025

Feelings, one of India’s most trusted family magazine