ડૉ. પ્રાર્થના મહેતા
એમ.ડી. આયુર્વેદ
અત્યારની ફાસ્ટ લાઈફમાં કમરનો દુખાવો હવે સામાન્ય થઈ ગયો છે. જ્યારે દુખાવો થાય ત્યારે પેઈન કિલર લઈને આપણે ચલાવી લઈએ છીએ. પણ તેની જડમૂળથી સારવાર કરાવતા નથી. પરિણામે કમરનો દુખાવો ધીમે ધીમે વધતો જાય છે. જે કયારેક વ્યક્તિને પથારીવશ પણ કરી શકે છે. તેમાંથી બચવા આજે આપણે આયુર્વેદ મુજબ કમરની સારવાર અંગે જોઈશું
આયુર્વેદ પ્રમાણે વાયુ વિના પીડા થતી નથી. શૂળનું મૂળ કારણ વાયુનો પ્રકોપ હોય છે. સામાન્ય રીતે વાત પ્રકોપ આહારનું સેવન કરવાથી વાયુ પ્રકોપ જ્યારે કટિપ્રદેશમાં સ્થિર થાય છે ત્યારે પ્રકૃપિત વાયુ કમરમાં વેદના ઉત્પન કરે છે. આ વેદના અસહ્ય હોય છે. વાતપ્રકોપ થવાનું મુખ્ય કારણ આહારનું સેવન, શક્તિથી વધુ શ્રમ કરવાથી, વારંવાર વમન વિરેચન લેવાથી, શરીરમાં માર વાગયાથી, વધારે ભયભીત થવાથી તથા રાત્રીના ત્રીજા પ્રહરમાં વાયુનો પ્રકોપ થાય તેવા સમયે ભોજન લેવાથી પણ વ્યક્તિ કમરના દુખાવાનો ભોગ બને છે.
કમરના દુ:ખાવામાંથી દર્દીને રાહત મળે એ માટે નિષ્ણાત તબીબની સલાહ અનુસાર સ્નેહન (માલીસ) અને સ્વેદન (શેક) કરાવવો જોઈએ. સ્નેહન માટે ક્ષીરબલા તેલ, મહાનારાયણ તેલ કે મહાનારાયણ તેલ કે વિષગર્ભ તેલનો ઉપયોગ કરવો જોઈએ. સમ્યક પ્રકારે સ્નેહન કરાવવું જોઈએ. સ્વેદન માટે દશમુલ કવાથથી બાષ્પસ્વેદ આપી સ્વેદન કરાવવું જોઈએ. કટિબસ્તિનો પ્રયોગ કમરના દુખાવામાં ઉત્તમ પરિણામ આપે છે. એ માટે કટિપ્રદેશમાં અડદના લોટની દિવાલ બનાવી તેમાં થોડું થોડું સહી શકાય એવું ગરમ ક્ષીરબલા તેલ ભરી દેવું જોઈએ. આ તેલ થોડા સમય સુધી ભરી રાખવું જોઈએ. તેલ ઠંડુ પડી જાય એ પછી તેને કાઢીને ફરી ગરમ તેલ એમાં ભરવું જોઈએ. એક કલાક સુધી આ પ્રક્રિયા કરવી જોઈએ. આ રીતે કટિબસ્તિ કરવાથી થોડા દિવસોમાં કટિપ્રદેશમાં પ્રકૃપિત વાયુનું શમન થઈ જાય છે અને કમરનો દુખાવો શાંત થઈ જાય છે.
ઔષધોપચાર
કમરના દુખાવામાંથી છૂટકારો મેળવવા કટિબસ્તિ ઉપરાંત સાથે આયુર્વેદિક દવા લેવાથી ઝડપથી ફાયદો થાય છે. એમાં મહાયોગરાજ ગુગળની એક ગોળી મહારાસ્નાદિ કવાથ સાથે આપી શકાય. અશ્ર્વગંધા ચૂર્ણ ત્રણ થી છ ગ્રામ માત્રામાં તેની સાથે એક ગોળી વિષતિન્દુકવટી મેળવી દૂધ સાથે આપવી જોઈએ. આરોગ્યવર્ધિની, વાતાગંજાકુશ અથવા મહાવાત વિધ્વંસકરસ, વાતગજેન્દ્રસિંહ તરણ બે રતિનીમાત્રામાં લઈ દિવસમાં ત્રણ વખત મધ સાથે લઈ શકાય. આ ઉપરાંત અશ્ર્વગંધારિષ્ટ, બલારિષ્ટ, દશમુલારિષ્ટ 2-2 ચમચી લઈ તેમાં સમાન ભાગે પાણી ઉમેરી આપવું જોઈએ. આમાંથી કોઈપણ દવા નિષ્ણાત તબીબની સલાહ વગર ન લેવી જોઈએ. કારણ કે દરેક વ્યક્તિની પ્રકૃતિ જુદી જુદી હોય છે. કોના પર કઈ દવા અસરકારક સાબિત થશે એ તો ડોકટર જ કહી શકે.
આપણા આરોગ્યના રક્ષણ માટે આહાર મહત્વનો ભાગ ભજવે છે. આહાર એ જીવનની પ્રથમ જરૂરિયાત છે. માનવીનાં સ્વાસ્થ્ય, શક્તિ, ઓજસ, બળ, વર્ણ, સુખ અને દીર્ઘજીવનના પાયાનું ઉત્તમ માધ્યમ ‘આહાર’ જ છે. જેનો આહાર ઉત્તમ હોય તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. જેનો આહાર હલકો હોય તેનું જીવન માંદલુ અને રોગિષ્ઠ રહ્યાં કરે છે. તેથી હંમેશા ઉત્તમ આહાર લેવો જોઈએ. આ ઉપરાંત આહારની સાથે દિનચર્યા પણ ઘરો મોટો ભાગ ભજવે છે. તેથી દરેક મનુષ્યે દિવસનાં નિત્યકર્મોનું યથાયોગ્ય પાલન કરવું જોઈએ.
શું ખાવું જોઈએ ? | શું ન કરવું ? |
સાદો-સુપાચ્ય ખોરાક લેવો. વાસી આહાર ન લેવો જોઈએ. લસણ, હિંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુને દૂર કરે એવા આહાર લેવા જોઈએ. | – ઉજાગરા ન કરવા જોઈએ.
– કબજિયાત ન થવા દેવી – ચિંતા કરવાનું ટાળવું – ભય અને ક્રોધથી બચવું જોઈએ. – છીંક આવતી હોય ત્યારે તેને રોકવી ન જોઈએ. – મલ-મૂત્રને રોકી રાખવા ન જોઈએ. |