કીડીઓ ભેગું કરે કતારમાં અને સિંહ શિકાર કરે લટારમાં… અર્થાત્ કીડીઓ ભેગી મળીને પોતાનો ખોરાક શોધવામાં જિંદગીનો મહત્તમ હિસ્સો વેડફી નાખે છે, પરંતુ સિંહ એક લટાર મારે ને શિકાર સાફ.
૧૦૦માંથી ૯૦ ટકાની માનસિકતા કતારમાં ઊભાં રહીને ગપાષ્ટકમ અને દેશ-દુનિયાની ફિકર કરતાં કરતાં સમય વેડફવાની હોય છે. પરંતુ ૧૦ ટકા વર્ગ એવો પણ જોવા મળશે કે ડિમોનેટાઇઝેશન અર્થાત્ નાણાંની નાકાબંધી વચ્ચે પણ પોતાની તમામ જરૂરિયાતો આંગળીના ટેરવે સંતોષી શક્યો હશે. ટેક્ધોલોજી આવિષ્કાર અને સાધ્ય માટે સાધનના ઉપયોગની સમજ ધરાવતા હોવાથી તેમને ક્યારેય ઊતાવળ નથી હોતી. ટૂંકમાં સમયની સાથે ચલો…
ઇન્ટરનેટ યુગમાં ઘેરબેઠાં તમામ પ્રોસેસ શક્ય હોવા છતાં કતારીયા રોકાણકારો કોર્પોરેશનમાં બાળકના જન્મની નોંધણીથી માંડીને પિક્ચરની ટિકિટ હોય, પેન્શન હોય કે સ્મશાનની લાઇનમાં પણ શોર્ટકટ શોધતા જોવા મળશે. પરંતુ ફાઇનાન્શિયલ પ્લાનિંગની બાબતમાં ખાસ કરીને ડિમોનેટાઇઝેશન જેવી પરિસ્થિતિઓનું આ દેશમાં વારંવાર પુનરાવર્તન થતું હોવા છતાં તેઓ હેરાન થાય છે. જેમ કે, એવી ગેરમાન્યતા પ્રવર્તતી હોય છે કે જ્યારે જોઇએ ત્યારે પૈસો મળી જ રહે છે ને..! બીજું ઓનલાઇનનો કોઇ ભરોસો નહીં. ૮ નવેમ્બર પછી કેટલા લોકો નાણાં મેળવવાની લાઇનમાં નહિ ઊભા રહેવાનો આનંદ માણી શક્યા હશે. પરંતુ ટોળાની માનસિકતા હોય છે કે જેમ ચાલે છે તેમ જ ચાલવા દેવાનું.
ઇમરજન્સી ફંડ રક્ષતિ રક્ષિત:
અર્થાત્ ઇમરજન્સી ફંડ રચીને જો તેનું રક્ષણ કરશો તો તે તમારી આકસ્મિક મૂડી જરૂરિયાતોના અણીના સમયે ઉપયોગમાં આવી શકશે. ખેર, જાગ્યા ત્યાંથી સવાર સમજીને અત્રે ઇમરજન્સી ફંડ પ્લાનિંગના ૧૦ કમેન્ડમેન્ટ્સ રજૂ કર્યાં છે. જેમાં પાયાની જરૂરિયાતો આવી જાય છે. બાકીનું આયોજન ફાઇનાન્શિયલ પ્લાનર કે યોગ્ય સલાહકારની સલાહના આધારે કરી શકો છો. ઇમરજન્સી ફંડ એટલે તમારી વાર્ષિક કમાણીનો એટલિસ્ટ ૩૦ ટકા હિસ્સો એવા મૂડીરોકાણ સ્રોતમાં ગોઠવી રાખો કે જેથી તમે ધારો ત્યારે ઉપયોગમાં લઇ શકો. બેંકના સેવિંગ્સ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, લિક્વિડ ફંડમાં, ઘરમાં થોડી કેશ સ્વરૂપે પણ રાખી શકાય છે. સાથે એ વાતનું ધ્યાન રહે કે ડિમોનેટાઇઝેશન જેવી સ્થિતિમાં બેંકો, મ્યુ. ફંડસ કે ક્યાંયથી કેશ ફ્લો અટકી જાય અથવા સાવ ઓછી કેશ હાથમાં આવે તેવી સ્થિતિના જોખમથી બચવા માટે ડેબિટ, ક્રેડિટ કાર્ડ કે ઓનલાઇન ટ્રાન્ઝેક્શનનો વિકલ્પ હાથ વગો રાખો. ભારતમાં પણ હવે ઓનલાઇન શોપિંગ, ઇમરજન્સી ટ્રીટમેન્ટથી માંડીને ટૂર્સ-ટ્રાવેલ્સ થઇ શકે છે. માટે તેનો મહાવરો કેળવવો જોઇએ.
ઇમરજન્સી ફંડ : પાણી પહેલાં પાળ..
ઓછામાં ઓછા ૩ માસની કમાણી ઇમરજન્સી ફંડ તરીકે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્રોતમાં રાખવી જોઇએ. રિટાયર્ડ માણસે તો એક વર્ષ ચાલે તેટલું ઇમરજન્સી ફંડ રાખવું જોઇએ.
ઇએમઆઇ કેટલો : માસિક કમાણીના ૩૫ ટકાથી વધુ તમામ પ્રકારની લોનનો હપ્તો ભારે પડી શકે છે. હોમ લોનનો હપ્તો કુલ માસિક આવકના ૩૫ ટકાથી મોટો ના હોવો જોઇએ.
રિટાયરમેન્ટ માટે ઇન્વેસ્ટમેન્ટ : કમાણીમાંથી દર મહિને ૧૦ ટકા રકમ તો બચત/ ઇન્વેસ્ટમેન્ટ માટે ફાળવો જ ફાળવો. જો તમે ૩૦થી નીચેની વયના હો અને જવાબદારીથી મુક્ત હો તો મેરેજ કરો ત્યાં સુધી ઓછામાં ઓછા ૪૫ ટકા કમાણીનું મૂડીરોકાણ કરી શકો છો.
કેટલી કિંમતનું મકાન ખરીદવું : પરિવારની કુલ વાર્ષિક કમાણીના ચાર ગણી કિંમતનું મકાન ખરીદી શકાય. વાર્ષિક આવક રૂા. ૧૦ લાખ હોય તો તમે રૂા. ૪૦ લાખ સુધીની કિંમતનું મકાન ખરીદી શકો છો.
ઇન્સ્યોરન્સ કેટલો લેવો : વાર્ષિક કમાણીના ૮-૧૦ ગણી રકમનો ઇન્સ્યોરન્સ લો. જોકે તમારી ઉંમર અને કમાણીને ધ્યાનમાં રાખીને આ રેશિયો ચેન્જ કરી શકો છો. ૩૦થી નીચેની વય હોય તો ૧૨-૧૫ ગણો અને પ૦થી વધુ હોય તો ૬-૮ ગણો ઇન્સ્યોરન્સ જરૂરી છે.
ઇક્વિટીમાં રોકાણ રેશિયો : ઇન્વેસ્ટમેન્ટ વર્લ્ડનો કોમન થમ્બ રૂલ છે કે ૧૦૦માંથી વર્તમાન ઉંમર બાદ કરતાં જે બચે તેટલા ટકા ઇક્વિટીમાં અને ૭૦ ટકા રકમ ડેટમાં ફાળવો.
રેટ ઓફ રિટર્ન : વાર્ષિક ૧૨ ટકા રિટર્ન હોય તો ૬ વર્ષે રોકાણ મૂલ્ય બમણું થઇ જશે. રિટર્ન ૮ ટકા હશે તો ૯ વર્ષે, ૧૪ ટકા હશે તો પાંચ વર્ષમાં મૂલ્ય બમણું થઇ શકે છે. જરૂરિયાત અનુસાર રેટ ઓફ રિટર્ન અલગ રહેશે.
તમામ કેટેગરીના રોકાણકારો માટે ઇમરજન્સી ફંડનું પ્રિસ્ક્રિપ્શન
* કમાણીમાંથી ૧૦-ર૦ ટકા રકમ બચત/મૂડીરોકાણ માટે અનામત રાખો.
* પ૦ ટકા રકમ આકસ્મિક ફંડ તરીકે એફડી, સેવિંગ્સ કે લિક્વિડ ફંડમાં રોકો.
* ફાજલ મૂડીમાંથી પણ મહત્તમ પ૦ ટકા મૂડી જ શેરબજાર માટે ફાળવો.
* પૈસો કમાવવા કરતાં પણ કેવી રીતે ખર્ચાય છે તેનો ખ્યાલ રાખો.