શરબજાર એટલે તમારી શેર મૂડી પાશેરની કરવાનો માર્ગ… એવી ગેરમાન્યતાથી પ્રેરાઇને 100માંથી 99 રોકાણકારો તેને સૂગની નજરે જોતાં હોય છે, પરંતુ ટ્રેડિંગના નામે સટ્ટો રમનારાઓ માટે જ આ ઉક્તિ સાચી હોઇ શકે. લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અપનાવો તો સહેજે વાંધો ના આવે.
શેરબજારમાં ડે-ટ્રેડિંગના રવાડે ચડીને જંગી દેવું કરીને બેઠેલા એક યુવાનના પિતા હૈયાવરાળ ઠાલવતા હતા કે, સાવ કપાતર પાક્યો છે. વારંવાર સમજાવ્યો કે સટ્ટાનો શોર્ટકટ અપનાવવામાં શાણપણ નથી. પણ અમારી વાત માને તો ને! સર્વસ્વ ગુમાવ્યું. 3પ વર્ષનો તો થઇ ગયો, હવે એકડે એકથી ફરી ઘૂંટશે તો ક્યારે બે પાંદડે થવાશે અને અમારી સારી દિશા આવશે. ભગવાન જાણે!
બીજા વડીલની હૈયાવરાળ પણ કંઇક આવી છે કે, અમે તો જિંદગીભર ઢસરડા કરીને મરી ગ્યા પણ મારો દીકરો અમારી સાત પેઢીના લોકો કમાય તેટલું એક ઝાટકે કમાયો. એની સૂઝબૂઝ જોઇને અમને પણ થાય છે કે, અમે પણ શેરબજારમાં સટ્ટો રમ્યા હોત તો આજે ક્યાંય પહોંચી ગ્યા હોત… મારો દીકરો તો હીરો છે…
વ્યક્તિ જ્યારે કોઇપણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને સૌથી પહેલો વિચાર પરિવારને આર્થિક સમૃદ્ધિની ભેટ આપવાનો આવશે. તેના માટે તે સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન સહિતના તમામ રસ્તાઓ અજમાવશે. જો સફળ થશે તો તે કુટુંબને તારનારો કહેવાશે અને જો નિષ્ફળ જશે તો સાત પેઢીને ડૂબાડનારો કહેવાશે. 100માંથી 90 ટકા રોકાણકારોની વૃત્તિ રાતોરાત લાખ્ખો-કરોડો કમાઇ લેવાની જ હોય છે. તમે તમારા પરિવારને ક્યારેય કોઇ હાનિકારક વસ્તુની ભેટ ધરી શકો?.. જો જવાબ ના હોય તો સટ્ટાખોરીના રવાડે ચડીને ખુવારીની ભેટ આપવાના બદલે લોહી-પરસેવાની કમાણીમાંથી લોંગટર્મ પ્લાનિંગ કરીને યોગ્ય અભ્યાસના આધારે જ જો ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન અપનાવશો તો કમસે કમ મૂડી ગુમાવવાનો વારો તો નહીં જ આવે. એટલું જ નહિ, પરિવારને કંઇક નક્કર ભેટ આપ્યાનો આનંદ માણી શકશો. રોકાણકારોના મનમાં એક ખોટી ગ્રંથિ હોય છે કે, શેરબજાર એટલે માત્ર સટોડિયાઓ/ટ્રેડર્સ જ કમાય. પરંતુ અભ્યાસના આધારે જોવા મળ્યું છે કે, ઇવન બેંક એફડી, સોના-ચાંદી, રિયલ એસ્ટેટ કરતાં પણ સૌથી વધુ કમાણી શેરબજાર/મ્યુચ્યુઅલ ફંડમાં લોંગટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરનારાઓને થયેલી છે. એક સર્વ સામાન્ય ઉક્તિ છે કે, કોઇને ખતમ કરી દેવો હોય તો તેને સટ્ટો અને નશાના રવાડે ચડાવી દો. એની મેળે ખતમ થઇ જશે.
નોકરી-ધંધા, વ્યવસાયમાં ઝંપલાવનારા 100માંથી માત્ર 10 ટકા લોકો સફળ અને નિષ્ફળ જતાં હોય છે. જ્યારે બાકીના 90 ટકા લોકો સફળતા અને નિષ્ફળતાની વચ્ચે ઝોલાં ખાતાં હોય છે. કારણ કે, આવા 90 ટકા રોકાણકારો નસીબના તાંતણે ટિંગાયેલા હોય છે, પરંતુ પેલા 10 ટકા લોકો પુરુષાર્થના આધારે પ્રારબ્ધને ઘડી લેતા હોય છે. રોકાણકારો બે કેટેગરીના જોવા મળે છે.
– સામાન્ય રોકાણકાર
– સફળ રોકાણકાર
આ બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત એ હોય છે કે સફળ રોકાણકારો સમજણપૂર્વક સાહસ કરતાં હોય છે. જ્યારે સામાન્ય રોકાણકારો સલામત છતાં નીચું રિટર્ન આપતાં પારંપરિક મૂડીરોકાણ સ્રોતમાં જ છબછબિયાં કરતાં રહેશે. સ્ટાઇલ તેમજ ઇનોવેશન પણ જાતે જ પસંદ કરવા પડે અથવા ફાઇનાન્સિયલ એડ્વાઇઝરની મદદ લેવી પડે.
સાહસ, ઇનોવેટિવ કે વધુ રિટર્ન મેળવવા માટે ગાંડા ના કઢાય કહીને ટોળાની પાછળ ચાલનારા હશો તો તમે સામાન્ય રોકાણકાર જ રહેવાના. આશય એવો નથી કે સામાન્ય ક્લાર્કની નોકરી કે ટિપિકલ મૂડીરોકાણ સ્રોતની મનોવૃત્તિ ખરાબ છે. પરંતુ બીજાને સમૃદ્ધ જોઇને ધરાઇ જવાના બદલે તમારે પણ પ્રયાસ કરવો જ પડશે.
સામાન્ય નોકરી, ધંધો, વ્યવસાયમાં અપનાવાતા એમ્પ્લોઇ માઇન્ડસેટને બદલે એન્ટરપ્રિન્યોર માઇન્ડસેટ અપનાવો. જે રીતે ચીલાચાલુ જોબ, પ્રોફેશનલ સિક્યોરિટી તમારી વ્યવસાયિક સાહસિકતાને ખતમ કરી નાખે છે તે જ રીતે સલામત ,નિયમિતપણે મળતું રિટર્ન પણ ઇન્વેસ્ટમેન્ટ ઇનોવેશનને ખતમ કરી શકે છે.
ફાઇનાન્સિયલ પ્લાનિંગનું પંચતંત્ર
* મૂડીરોકાણ આયોજન એવું હોવું જોઇએ કે આવેલો નફો મૂડી સાથે સરકી ના જાય. પરફેક્શન નહિ, ડાયરેક્શન પર ધ્યાન આપો.
* નોકરી-વ્યવસાય-ધંધો-ઉદ્યોગ સાથે સંકળાયેલા રોકાણકારો રિટાયરમેન્ટ ડેટના આધારે ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્કમ પ્લાન કરે.
* ભરેલા ટેક્સમાંથી સરકાર તરફથી મળતા સોશિ. સિક્યોરિટી, એડવાન્ટેજનો મેક્સિમમ લાભ લેવો તે તમારો બંધારણીય અધિકાર છે.
* માત્ર ઊંધું ઘાલીને કમાણી કરવાની જ વૃત્તિમાં પરિવર્તન લાવો. મૂડીરોકાણ આયોજનની સાથે આવશ્યક ખર્ચને પણ આવકારો.

