સુજોકને બોલચાલની ભાષામાં સમજવું હોય તો કહી શકાય, સુ એટલે હાથ અને જોક એટલે પગ. આવી સાવ સામાન્ય રીતે સુજોકને ડો. પાર્ક જે વૂ એ કોરિયન ભાષામાં સમજાવેલું. દાદીમાના વૈદુ હોય તેવી રીતે સાર્વજનિક રોગોપચારની પદ્ધતિને ડો. પાર્ક જે વૂ એ પ્રખર સંશોધનો બાદ વૈજ્ઞાનિક ઢબે પ્રચલિત કરી છે. રોજબરોજની સામાન્ય તકલીફોમાં અને કાયમી કારમા રોગોમાં કે ઋતુ પ્રમાણે થતી શારીરિક બેચેનીમાં ઉપયોગમાં લેવાતી આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે.
એસિડિટી એ લગભગ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક થતી તકલીફ છે. તે કોઇ રોગ નથી, પરંતુ રોગ થવાનું મુખ્ય કારણ હોઇ શકે. એસિડિટીના મુખ્ય કારણોમાં અનિદ્રા, અનિયમિતતા અને ઉદ્વેગ હોઇ શકે. જો કોઇ વ્યક્તિને પૂરતી ઊંઘ મળતી નથી કે તે નિયમિતપણે તેમના શરીરની જરૂરિયાત જેટલી ઊંઘ લેતા નથી તો એસિડિટી થઇ શકે. જમવા, સૂવા કે ઊઠવાની અનિયમિતતા પણ એસિડિટીના મૂળમાં ગર્ભિત હોઇ શકે. કોઇ વ્યક્તિને ખૂબ ઉદ્વેગ રહેતો હોય, વારંવાર ઉચાટ કરતા હોય તેવા કોઇપણ માનસિક કારણોસર પણ એસિડિટી થઇ શકે. કોઇ દવાની સાઇડ ઇફેક્ટથી પણ એસિડિટી થઇ શકે.
સાંપ્રત સમયમાં એસિડિટીનું મુખ્ય કારણ ઘણીવાર ટીવી જોતાં જોતાં જમવું કે સોશિયલ મીડિયામાં ધ્યાન હોય અને ‘કોળિયા પાછળ કોળિયો જાય. પેટ ભરાય ને એક ટંક જાય’ એ પદ્ધતિએ ખોરાક લેવાની કુટેવને કારણે પણ એસિડિટી થાય છે.
કહેવાય છે કે, ખોરાક જેટલો સ્વાદિષ્ટ હોય તેટલો સુંદર દેખાવે હોવો જોઇએ. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે કે જ્યારે ખોરાક દેખાય છે ત્યારે મગજ તેના રૂપરંગના આધારે લાળ રસો ઝરે તેવી વ્યવસ્થા શરૂ કરે છે. ત્યાર બાદ ર0 સેક્ધડ જેટલા સમયમાં તે ખોરાક પચાવવા માટે જરૂરી પાચક રસો પેટમાં પહોંચી જાય છે. પરંતુ આ સમયમાં ખોરાક તરફ દૃષ્ટિ પણ કરવામાં નથી આવતી. આપણું ધ્યાન તો માત્ર ટીવી ચેનલ બદલવામાં કે કોઇ રિમોટ ન લઇ લે તેમાં અથવા તો મોબાઇલના વિવિધ સોશિયલ મીડિયામાં સમાવિષ્ટ હોય છે. માટે ચયાપચયનો પ્રથમ તબક્કો જ શક્ય નથી. તેથી આગળની વિધિ વ્યવસ્થિત ન રહી શકે.
એસિડિટીને નાબૂદ કરવાનો પ્રથમ ઉપચાર છે ટીવી કે મોબાઇલના સંગે જમવું નહીં. જમવાની રંગત પરિવારજનોની સંગતમાં જમાવવી. રાત્રે મોબાઇલ પર ગેમ કે સોશિયલ મીડિયા પર નજર રાખતાં રાખતાં સૂવાની કોશિશ કરવી નહીં. રાત્રે વાંચવાની આદત રાખવી જેથી ઊંઘ સારી અને ગાઢ આવે. રાત્રે સૂવાના સમય કરતાં ત્રણેક કલાક પહેલાં જમી લેવું. જમ્યા પછી તરત જ સૂવાથી પણ એસિડિટી થઇ શકે છે. જમ્યા પછી સો એક ડગલાં ઊંધા પગે ચાલવું. જેનાથી બેસી શકાતું હોય તેમણે પાંચ મિનિટ વજા્રસનમાં બેસવું.
રાત્રે સૂતાં દૂધ ન પીવું. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે પચવામાં ખૂબ ભારે હોય છે, તેથી તે એસિડિટીને નોતરે છે. રાત્રે તળેલું, ખાટું, આથાવાળું, દૂધ અને દૂધની બનાવટ ન લેવી.
કોઇપણ દવા લેતાં હોવ તો તે દવા હંમેશાં ગરમ પાણી સાથે લેવી, જેના કારણે દવાની સાઇડ ઇફેક્ટ 70 ટકા જેટલી ઘટી જાય છે. સવારનો નાસ્તો અવશ્ય લેવો. આખા દિવસનો જે ભારે ખોરાક ખાવો છે તે સવારે 8 વાગ્યા પહેલાં ખાવાથી વજન ન વધે અને એસિડિટી ન થાય. રાત્રે કાચના વાસણમાં એક ઇંચ જેટલી આંબલી પલાળી સવારે નરણાકોઠે તેને ચોળી તેનું પાણી પીવું અને ત્યાર બાદ 40 મિનિટ કાંઇ પણ ન લેવાથી પણ એસિડિટી મૂળમાંથી મટે છે અને જો સવારે 8 વાગ્યા પહેલાં નાસ્તો કરવાનો હોય તો સૂર્યોદય પહેલાં ઊઠવું આવશ્યક થઇ જાય છે. ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે એસિડિટી થાય ત્યારે દૂધ કે આઇસક્રીમ ન ખાવા, તેનાથી એસિડિટી વધશે, મટશે નહીં. તેને બદલે હિંમત કરી ગરમ પાણી પીવું. જે કાયમી ધોરણે જમ્યા પછી 40 મિનિટ પછી ચા જેવું ગરમ પાણી પીવે તેને એસિડિટી થાય જ નહીં.
સુજોક પ્રમાણે તમારા હાથની હથેળીના એલ આકારના ખૂણામાં લીલો રંગ, મગ કે તુલસીનું પાન એડહેસિવ ટેપની મદદથી બાંધવાથી એસિડિટી તાત્કાલિક ઢબે મટે છે. જ્યારે થાય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સારવાર કરવાથી એસિડિટીમાં તરત રાહત થાય છે. આ માત્ર રાહત માટેનો ઉપચાર છે. મટાડવા માટે કોઇ જાણકાર સુજોક થેરાપિસ્ટ પાસે સારવાર કરાવવી આવશ્યક છે.

