વૈશ્ર્વિક શાંતિના હિતમાં વાતચીત, વાટાઘાટો અને આપણી કોઠાસૂઝ જ ભારત-પાક. સંબંધે કોઇક સારો ઉકેલ આપી શકશે

વૈશ્ર્વિક શાંતિના હિતમાં વાતચીત, વાટાઘાટો અને આપણી કોઠાસૂઝ જ ભારત-પાક. સંબંધે કોઇક સારો ઉકેલ આપી શકશે

- in Politics
2324
Comments Off on વૈશ્ર્વિક શાંતિના હિતમાં વાતચીત, વાટાઘાટો અને આપણી કોઠાસૂઝ જ ભારત-પાક. સંબંધે કોઇક સારો ઉકેલ આપી શકશે

પરીક્ષિત જોશી

સંબંધોના પક્ષપાતી એટલે સુધી કહે છે કે કાશ્મીરને કેટલાક દિવસો માટે કિનારે રાખીને પણ બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો બનાવી શકાય છે, પરંતુ બીજો વર્ગ કાશ્મીરના ઉકેલ વિના ભારત સાથે કોઇ પણ પ્રકારના સંબંધોનો વિરોધ કરે છે. આ બંને વચ્ચે સામાન્ય પાકિસ્તાની નાગરિક ભ્રમિત જેવા જણાય છે, જે ઉશ્કેરણીજનક પ્રવચનો ભારતની તરફે અને વિરુદ્ધ વચ્ચે અનિશ્ર્ચિત સ્થિતિમાં ગરકાવ રહે છે.

ભારત અને પાકિસ્તાન, આમ તો આ મુદ્દો બેય દેશોની રચના પહેલેથી ચર્ચાતો રહ્યો છે. કારણ કે, સ્વતંત્ર પાકિસ્તાનની રચનાના મૂળિયાં એ સમય દરમિયાન વવાયાં હતાં. પરંતુ 1947માં સત્તાવાર રીતે જ્યારે બેય રાષ્ટ્રો પોતપોતાના ભાગ્ય સાથે જન્મ્યાં ત્યારથી આજદિન સુધી ભૌગોલિક કે રાજકીય રીતે એકબીજાથી નોખાં પડેલાં કે પાડેલા- આ બેય રાષ્ટ્ર્રોની કુંડળી એકબીજા સાથે જ ચર્ચાતી રહી છે.

ધર્મ, જાતિ અને વ્યવસ્થાના મુદ્ે છૂટાં પડેલાં બે રાષ્ટ્રો આજે ક્યાં છે એ કોઇપણ ભારતીયને જણાવવાનું હોય જ નહીં. દરેક ભારતીય જો કોઇ એક વિષય જાણતો જ હોય એવી બાંયધરી આપવી હોય તો એ વિષય ભારત-પાક. સંબંધો સિવાય બીજો કોઇ હોઇ જ શકે નહીં.

1977માં વચ્ચે થોડો સમય રહેલી બિનકોંગ્રેસી સરકારનો સમયગાળો બાદ કરીએ તો છેક આઝાદીના સમયથી લઇને સતત પાંચેક દાયકા ઉપરાંતનો સમય કોંગ્રેસી સરકાર કેન્દ્રસ્થ સત્તાસ્થાને રહી છે. એ પછીના ભાજપાના નેતૃત્વમાં આવેલી ગઠબંધન સરકારો અને પછી ભાજપાની સંપૂર્ણ બહુમતીવાળી આજની ન.મો. સરકાર સુધીના સમયગાળામાં ભારત-પાક. સંબંધો વિવિધ ચાળણે ચળાતા રહ્યા છે અને વિવિધ ગળણે ગળાતા રહ્યા છે. પણ પરિણામને નામે આજદિન સુધી કશુંય નક્કર પ્રાપ્ત થયું નથી. હા, 1971માં પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો એક ભૌગોલિક પ્રદેશ સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો ખરો. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લીધેલા એ મર્દાના પગલાંની અપેક્ષા આજે ફરીથી ભારતીય નાગરિકો કરી રહ્યાં છે.

એક રીતે એમની અપેક્ષા ખોટીય નથી. છાશવારે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા થતાં છમકલાં અને એમાં ભારતની મહામૂલી મૂડી એવા સૈનિકોના ચાલ્યા જતા પ્રાણ, સતત ચર્ચાતો ભાવવાહી મુદ્દો રહ્યો છે. આવા મુદ્દા પાકિસ્તાનમાં એના તરફથી લડતા આતંકીઓને મુદ્ે ગોપનીયતાને લીધે પણ જાહેરમાં આવતા નથી.

પરંતુ આજે પણ ભારત-પાક. સંબંધો કઇ દિશામાં જશે તે વિશે આગાહી કરવાનું મુશ્કેલ છે. બંને દેશો વચ્ચેના સંબંધો સર્વાધિક અનિશ્ર્ચિતતાથી ભરેલા છે. આવી સ્થિતિ કદાચ એ કારણોથી પણ છે કે આ દિવસોમાં પડોશીઓ વચ્ચેના સંબંધો કોઇ લાંબી સુચિંતિત વિવેક આધારિત રાજદ્વારી કવાયતનું પરિણામ થવાને બદલે મોટા ભાગે તાત્કાલિક ભાવુકતા, શાસકોના લાભ-હાનિની ગણના અને ઇતિહાસની અતિરેક ભરી સમજણથી નક્કી થતા રહે છે. પાડોશી દેશોના સંબંધો દરેક દેશની આંતરિક જરૂરિયાતોની ઉપજ હોય છે, તેવી માન્યતા સાથે બરાબર બંધ બેસે છે.

પાકિસ્તાનનો સમગ્ર ઈતિહાસ ન જોઇએ તોય છેલ્લાં થોડાં સમયની ઘટનાઓ જોતાં એ બાબત તો સ્વયંસ્પષ્ટ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પોતાના અસ્તિત્વની લડાઇ પોતાના દેશમાં આંતરિક રીતે લડતા રહ્યા હતા. મહત્ત્વાકાંક્ષી અને પાકિસ્તાનમાં અપૂર્વ લોકપ્રિયતા ધરાવતા સેનાધ્યક્ષ રાહિલ શરીફ અને પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ પાર્ટીના તકવાદી અધ્યક્ષ ઇમરાન ખાન વર્ષભર તેમને હેરાન-પરેશાન કરતા રહ્યા હતા. એમાંય પનામા પેપર્સમાં નવાઝ અને તેમના પરિવારજનોના નામ આવ્યા પછી તો આ હુમલાઓ વધુ તેજ થયા હતા. પરિસ્થિતિ એટલી બધી વણસી ગઇ હતી કે એક સમયે એવું લાગી રહ્યું હતું કે, પાકિસ્તાની આર્મી દ્વારા નવાઝ શરીફને હટાવાશે અથવા વિકલ્પે શરીફ પોતે જ પોતાના કોઇ વિશ્ર્વાસપાત્રને વડાપ્રધાનની ખુરશી પર બેસાડી દઇ સત્તાથી દૂર થશે.

પાકિસ્તાનમાં પોતાના સ્થાનિક મોરચા પર નવાઝ નબળા પડયા તેની સીધી અસર ભારત-પાક. સંબંધો પર પડી. પાકિસ્તાની સમાજ પર બારીક નજર રાખનાર વિશ્ર્લેષકો જાણે છે કે અત્યારે ત્યાંનો વર્ચસ્વ ધરાવતો વર્ગ ભારત સાથે મૈત્રીભર્યા સંબંધો વિશે એક પૂરેપૂરી તિરાડ ધરાવે છે. એક તરફ મુખ્ય ધારાનું રાજકીય નેતૃત્વ છે, જે વ્યાપારીઓ અને ફિલ્મો તથા ખેલ જગત સાથે જોડાયેલા વ્યવસાયી લોકોની સાથે ભારત સાથે સંબંધો સામાન્ય કરવાની વાત કરે છે, તો બીજી તરફ સેના અને ધાર્મિક કટ્ટરપંથીઓની ટોળી છે, જે કોઇપણ રીતે ભારત-પાક. સંબંધોને સામાન્ય બનાવવાની વિરોધી છે.

સંબંધોના પક્ષપાતી એટલે સુધી કહે છે કે કાશ્મીરને કેટલાક દિવસો માટે કિનારે રાખીને પણ બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો બનાવી શકાય છે, પરંતુ બીજો વર્ગ કાશ્મીરના ઉકેલ વિના ભારત સાથે કોઇ પણ પ્રકારના સંબંધોનો વિરોધ કરે છે. આ બંને વચ્ચે સામાન્ય પાકિસ્તાની નાગરિક ભ્રમિત જેવા જણાય છે, જે ઉશ્કેરણીજનક પ્રવચનો ભારતની તરફે અને વિરુદ્ધ વચ્ચે અનિશ્ર્ચિત સ્થિતિમાં ગરકાવ રહે છે. આ સ્થિતિમાં નવાઝ શરીફ નબળા પડતા જ ભારત-પાકિસ્તાન સંબંધો પર પ્રતિકૂળ અસર પડવાનું સ્વાભાવિક છે.

અમેરિકા તરફ પોતાની જરા વધુ પડતી ગતિને લીધે ભારતે રશિયાને, સ્વાભાવિકપણે પાકિસ્તાનની નિકટ ધકેલી દીધું છે અને પારંપારિક મિત્રો ચીન અને તુર્કી પછી હવે રશિયા પણ પાકિસ્તાનનું નિકટનું મિત્ર બનવાના માર્ગે છે. તાજેતરમાં જ યોજાયેલી રશિયા-પાકિસ્તાનની સહયોગી લશ્કરી કવાયત એનો પુરાવો છે. ભારત પારંપારિક રૂપે અસ્ત્ર-શસ્ત્ર માટે સોવિયેટ રશિયા પર નિર્ભર હતું. અત્યારે સાઉદી અરેબિયા પછી, અમેરિકા પાસેથી લશ્કરી સામગ્રી આયાત કરનાર બીજો સૌથી મોટો દેશ બની ગયો છે.

ઇતિહાસ સાક્ષી છે કે આઝાદી બાદ ભારતનું લોકતંત્ર સતત મજબૂત થતું રહ્યું, પરંતુ પાકિસ્તાનનું લોકતંત્ર વધુ ને વધુ નબળું પડતું રહ્યું. પાકિસ્તાનમાં લશ્કરના વડાઓ વખતોવખત સરમુખત્યાર બની પાકિસ્તાન પર શાસન કરતા રહ્યા. પાકિસ્તાનમાં હાલ નવાઝ શરીફ વડાપ્રધાન છે, પરંતુ તેઓ પણ પાકિસ્તાનના લશ્કરની ઇચ્છા અને તાકાત સામે ઝૂકતા રહે છે, હવે ર018માં પાકિસ્તાનમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે 18 મહિનાના સ્વૈચ્છિક દેશનિકાલ બાદ પાકિસ્તાનના પૂર્વ પ્રેસિડેન્ટ આસિફ અલી ઝરદારી પાકિસ્તાન પાછા ફર્યા છે. તેઓ ફરી પાકિસ્તાની રાજનીતિમાં સક્રિય થશે એવી ધારણાથી પાકિસ્તાનનનું રાજકારણ ગરમાયું છે. આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટોના પતિ અને બિલાવલ ભુટ્ટોના પિતા છે. તેમની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી આગામી ચૂંટણીમાં નવાઝ શરીફ માટે પડકારરૂપ સાબિત થઇ શકે છે. ભારતમાં જેમ ‘ગાંધી’ અટકનું એક મહત્ત્વ છે તેમ પાકિસ્તાનમાં ‘ભુટ્ટો’ અટકનું મહત્ત્વ છે. તેથી જ તેમના પુત્ર બિલાવલ ‘બિલાવલ ભુટ્ટો ઝરદારી’ તરીકે પોતાની જાતને ઓળખાવે છે.

કેન્દ્રસ્થ સત્તાસ્થાને આવતાની સાથે જ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂંચવાયેલા મુદ્દાઓ, પ્રતિસ્પર્ધીઓ, વિરોધીઓ વગેરેનો સામનો કર્યો. સારા અને સાચા ઉકેલ માટે અનેક મુદ્દાઓ હતા તેમણે તેને ઉકેલવા પ્રયાસ કર્યા, પણ તેમણે પણ ચીન અને પાકિસ્તાન સાથે નરમાશનું વલણ અપનાવ્યું અને પૂર્વજોના માર્ગને જ અપનાવ્યો.

મોદીએ લાલ કિલ્લા પરથી પણ સંબંધ સુધારવાની વાતો કરી હતી. બાંગ્લાદેશ સાથે પણ અગત્યના પગલા લેવાયા હતા. બ્રિક્સ અને સાર્ક વિશે પણ સૌ નેતાઓએ ચર્ચાવિચારણા કરી હતી. ચીન સાથેના સંબંધો પ્રમાણમાં સારા છે, પણ ધાકધમકી વિનાના નથી. એશિયામાં ભારતના વધતા વર્ચસ્વને કારણે ચીને સક્રિયતા દાખવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકાના પ્રમુખ ઓબામાનો અવાર-નવાર ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પની સ્થાનિક નીતિઓ ભારત વિરોધી હોય તેવું જણાય છે.

તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે એક અહેવાલમાં સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ ભારત અને અફઘાનિસ્તાનમાં હુમલાની યોજના બનાવી રહ્યા છે. તે સાથે જ અમેરિકાએ ભારત સાથે સંબંધો બગડવા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. અમેરિકા હવે ખૂલ્લેઆમ એ વાતનું અનુમોદન કરે છે કે જો ભારતીય સરહદો પર પાકિસ્તાન દ્વારા વધારે આતંકી હુમલા કરવામાં આવશે તો બંને દેશ વચ્ચેના સંબંધોમાં વધારે તણાવ ઉત્પન્ન થઇ શકે છે. અમેરિકન નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર ડેનિયલ કોટ્સે અમેરિકન સંસદમાં જણાવ્યા મુજબ પાકિસ્તાન આતંકીઓને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. હવે ભારતની સહનશક્તિ પણ ઘટી રહી છે. વર્ષ-ર016માં પઠાણકોટ હુમલાની તપાસ કરવામાં પણ પાકિસ્તાનનું વલણ નરમ રહ્યું છે. આ બધા વિવાદોના કારણે બંને દેશોના સંબંધો વધુ બગડ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિનું મુખ્ય કારણ વર્ષ ર016માં ભારતીય સરહદ પર કરવામાં આવેલા બે મોટા આતંકી હુમલા છે. ર017માં જો ભારત પર કોઇ હાઇપ્રોફાઇલ આતંકી હુમલો થશે તો બંને દેશોના સંબંધો વધારે ખરાબ થશે એવી ચેતવણી પણ અમેરિકી ઇન્ટેલિજન્સે ઉચ્ચારી છે.

આ જ સમયે પાડોશી દેશ શ્રીલંકાની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્યાં એક સમારોહમાં શ્રીલંકામાં રહેલા તમિલ સમુદાયના લોકોને સંબોધિત કરતાં બૌદ્ધધર્મના શાંતિ સંદેશને યાદ કર્યો હતો. એટલું જ નહિ, અન્ય પાડોશી દેશો પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર ન.મો.એ શાંતિ પ્રક્રિયા તરફની પોતાની ગતિનો સક્રિય વિરોધ કરતાં નફરતના સમર્થક કોઇ દિવસ વાતચીત કરવા રાજી થતા નથી અને હંમેશા અશાંત રહે છે એમ કહી પોતાની નીતિ સ્પષ્ટ કરી હતી. તો બીજી તરફ એક જાહેર કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાના દિલની વાત મૂકતાં કહ્યું હતું કે જો પાકિસ્તાન સાથેના સંબંધ સુધરે તો મને સૌથી વધુ ખુશી થશે.

ભારતીય નેતાઓ પહેલેથી શાંતિની વાત કરતા રહ્યા છે અને એ માટે સક્રિય પ્રયાસો પણ કરતા રહ્યા છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે પણ જણાવ્યું છે કે, ભારત સાથે યુદ્ધ એ વિકલ્પ નથી. તો આ તરફ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની આંતરરાષ્ટ્રીય શાંતિ નીતિનો ઉદ્ઘોષ કરતાં જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન પોતાની જમીનથી આતંકવાદને નાબૂદ કરે તો બંને દેશો વચ્ચે સારા સંબંધ બની શકે છે. હું પાડોશીઓ સાથે સારા સંબંધ ઇચ્છું છું અને જેમ ભારત માટે સપનું જોઉં છું એમ જ અમારા પાડોશી દેશો માટે પણ જોઉં છું.

સરવાળે ભારત-પાક. સંબંધે જોવા જઇએ તો આતંકવાદ અને છાશવારે થતાં છમકલાં અને હત્યાઓ વચ્ચે સામાન્ય નાગરિકની લાગણી ‘લે બુધુ ને કર સીધુ’ની જેમ તડ ને ફડની રહી છે, પરંતુ પાકિસ્તાન હોય કે ભારત કે પછી આંતરરાષ્ટ્રીય સમુદાય, સર્વે એકમત છે શાંતિ માટે. કારણ, એટલું જ છે કે અંદરોઅંદર ગમે તેટલો અવિશ્ર્વાસ હોય, ગમે તેટલા મતમતાંતર હોય પણ જો યુદ્ધ થયું તો એ સાદું, સરળ સ્થાનિક કે ગૃહયુદ્ધ નહીં હોય, ત્રીજું વિશ્ર્વયુદ્ધ જ હશે. એમાં આખુંય વિશ્ર્વ પોતપોતાની અત્યાધુનિક જીવલેણ તકનીકો સાથે ત્રાટકશે ત્યારે આખી ઘટનાના મૂળમાં જે છે એ માનવજાતનું નિકંદન નીકળી જવાનું નક્કી છે. અત્યારે એવો કોઇ સત્પુરુષ પણ નથી કે જેને સમુદ્રમાંથી મત્સ્ય આવીને કહે કે જીવસૃષ્ટિના નવસર્જન માટે જરૂરી પ્રતિનિધિઓને એક હોડીમાં લઇ મારી સાથે આવી જા. હું તને પ્રલયથી બચાવીશ. અર્થાત્ વિશ્ર્વહિતમાં, વૈશ્ર્વિક શાંતિના હિતમાં વાતચીત, વાટાઘાટો અને આખરે તો આપણી કોઠાસૂઝમાંથી આવતી સમજસૂઝ જ કોઇક સારો ઉકેલ આપી શકશે.

ભૂષણ જાધવ મુદ્દે ઈંઈઉં માં પાકિસ્તાનને એક વધુ પછડાટ..

છેલ્લા કેટલાય દિવસથી ભારત-પાક વચ્ચે વિવાદનો ગંભીર બનેલો મુદ્દો અને કદાચ જેના કારણે ભારત-પાક વચ્ચે યુદ્ધ થવા સુધીની શક્યતાઓ સેવાઈ રહી હતી એવા ભૂષણ જાધવને પાકિસ્તાનની આર્મી કોર્ટ દ્વારા ફાંસી આપવાના નિર્ણયને ભારતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં આક્રમક રીતે રજૂ કર્યો. પાકિસ્તાનના ભૂષણ જાધવને ફાંસી આપવાના નિર્ણયને ગેરવ્યાજબી ઠેરવતી મજબૂત દલીલો કરી હતી.  ભારત તરફથી વકીલ સાલ્વે એ માત્ર 1 રૂપિયામાં ભૂષણનો કેસ લડીને ઈંઈઉં ના 11જજોની પૅનલ સામે નક્કર પુરાવાઓ આપી પાકિસ્તાન દ્વારા ભૂષણને રૉના એજન્ટ અને આતંકવાદી તરીકે ખપાવી ફાંસી આપવાની તજવીજ ધરાઈ જે તદ્ન ગેરવ્યાજબી છે એવી દલીલ રજૂ કરી હતી. બીજી તરફ, જજોની પેનલે વિયેના કરાર 1977 ના ની શરતોને ટાંકીને પાકિસ્તાનનો નિર્ણય અયોગ્ય છે એવો મત આપ્યો હતો. તેની સામે પાકના વકીલ ખાવર કુરેશીએ વિયેના કરારને માન્ય નહીં કરીએ એવી દલીલો રજૂ કરી હતી. પરંતુ પાકિસ્તાન દ્વારા આગલો ચૂકાદો ન આવે ત્યાં સુધી ભૂષણને ફાંસી ન અપાય તેવા નિર્ણય સાથે પાકની દલીલો નકારી કાઢી હતી. જે બાબતે ભૂષણ જાધવને હાલ પૂરતી ફાંસી આપવાની પાકિસ્તાન સરકારની નાપાક મનશા પર પાણી ફરી વળ્યું. ભારતની ઈંઈઉં માં ભૂષણ જાધવની ફાંસી અટકાવવામાં મળેલી આ સફળતાને દેશના તમામ પક્ષોએ રાષ્ટ્રની રાજકીય કૂટનીતિની જીત ગણાવી હતી. તો બીજી તરફ મોદીના નેતૃત્વમાં પ્રજાનો વિશ્ર્વાસ વધારે મજબૂત બન્યાનો વધુ એક દાખલો પ્રજાને મળ્યો હતો. ભૂષણ જાધવના મુદ્દે પાકિસ્તાની મીડિયામાં પણ આ બાબતે જાણે કે ભૂકંપ આવી ગયો. પાકિસ્તાનના એક પૂર્વ રાજનૈતિક વિશેષજ્ઞએ તો ત્યાંની મીડિયા સામે એટલી હદે કહી દીધું કે પાકિસ્તાનના વકીલે જ્યાં 5 કરોડ રૂપિયા આ કેસ માટે લીધા અને ભારતના વકીલે માત્ર એક રૂપિયો લઈને માર્ચ મહિનાથી જ આ કેસની પૂર્વ તૈયારીઓ આરંભી દીધી હતી..! ટૂંકમાં, સો વાતની એક વાત કે મોદી ફીવર જ નહીં પણ વિશ્ર્વ કક્ષાએ હવે મોદીની બધે જ ફેવર પણ થઈ રહી છે..! એટલે યુદ્ધનું મેદાન હો, રાજનૈતિક નિર્ણય હો કે પછી કાયદાની આંટીઘૂંટી હો..પાક.ની પળોજણમાં એક વધારો.અબ કી બાર ઈંઈઉં મેં ભી હુઈ હાર..!

Facebook Comments

You may also like

Feelings Post – November 2025

Feelings, one of India’s most trusted family magazine