વિમિષ પુષ્પધનવા
ઇસરો હવે ક્રાયોજેનિક એન્જિન તૈયાર કરી રહ્યું છે. રોકેટ માટે વાપરનારા આ એન્જિનનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક થઇ ચૂકયું છે. ક્રાયોજેનિક એન્જિન એ અવકાશમાં એન્જિનોમાં વપરાતા વિવિધ એન્જિનો પૈકીનો એક પ્રકાર છે. અત્યંત નીચા તાપમાને જે એન્જિનમાં બળતણ સંગ્રહી શકાય એવું એન્જિન ક્રાયોજેનિક કહેવાય. નીચા તાપમાનને કારણે ઓછી જગ્યામાં વધુ બળતણ સમાવી શકાય અને તેનાથી રોકેટનો પ્રવાસ લંબાવી શકાય. ક્રાયોજેનિક એન્જિનને કારણે જ અમેરિકા સેટર્ન રોકેટ સિરીઝ દ્વારા ચંદ્ર સુધી પહોંચી શકયું છે. પરદેશી ટેકનોલોજી વગર ઇસરોએ ભારતમાં જ ક્રાયોજેનિક એન્જિન તૈયાર કરવામાં સફળતા મેળવી છે. હવે ભારત તેનું સૌથી આધુનિક રોકેટ જીએસએલવી સરળતાથી લોન્ચ કરી શકશે. ક્રાયોજેનિક એન્જિન બનાવવામાં સફળતા મેળવનારો ભારત અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જાપાન અને ચીન પછી છઠ્ઠો દેશ છે.
ભૂતપૂર્વ અંતરિક્ષ વૈજ્ઞાનિક કે.કસ્તુરીરંગને ઈસરો દ્વારા એક જ રોકેટથી ૧૦૪ રોકેટ અંતરિક્ષમાં મોકલવાની ઈસરોની સિદ્ધિને બિરદાવી હતી. તેમણે કહ્યું કે ઈસરો દ્વારા આંતરિક્ષ ક્ષેત્રે વિશ્ર્વ આખામાં ભારતની એક અનોખી સિદ્ધિ છે જેણે વિશ્ર્વ આખામાં ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાની ઓળખાણ આપી છે.
‘આ ભવ્ય સફળતાને હું બિરદાવું છું. આપણાં દેશ પાસે એક સાથે ૧૦૦ સેટેલાઈટ્સ આકાશમાર્ગે અંતરિક્ષમાં મોકલી શકવાની કેપેસિટી છે તે આપણા માટે ગૌરવની વાત છે.’ – ડો. કે. કસ્તુરીરંગન
સેટેલાઇટ લોન્ચિંગ માટે વપરાયેલું રોકેટ પીએસએલવી-પોલાર સેટેલાઇટ લોન્ચિંગ વ્હિકલ ઇસકો માટે સફળતાનું બીજું નામ છે. પીએસએલવીએ અત્યાર સુધીમાં ચંદ્રયાન-૧, ભારતનું મંગળ મિશન, અગાઉ એક સાથે દસ ઉપગ્રહો સહિતના મહત્ત્વપૂર્ણ લોન્ચિંગ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. ચાર તબક્કામાં બનેલા પીએસએલવીના સૌથી ઉપરના ભાગે આવેલી કેપ્સ્યુલમાં વિવિધ સેટેલાઇટ ગોઠવાયેલા હોય છે. ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી બે કેપ્સ્યુલ ખૂલે અને તેમાંથી એક પછી એક સેટેલાઇટ બહાર નીકળીને કક્ષામાં ગોઠવાય. ૩૨૦ ટનનું આ તોતિંગ રોકેટ ૧૯૯૩થી ઇસરોની સેવામાં લાગેલું છે.
સ્માર્ટફોન વાપરનારા સૌ કોઇ જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ)થી વાકેફ હશે જ. કોઇ પણ સ્થળનો નકશો જાણવા, રસ્તો શોધવા, પોતે ખોવાઇ ગયા હોય તો પોતાનું લોકેશન ખોળખવા, લશ્કરમાં ટાર્ગેટ શોધવા વગેરે અનેક કામોમાં જીપીએસનો વપરાશ થાય છે. જીપીએસ એ હકીકતે અમેરિકાની સુવિધા છે. ગ્લોબલ પોઝિશનિંગ નામ પ્રમાણે અમેરિકાએ અવકાશમાં ૨૪ ઉપગ્રહોને ગોઠવીને આખી પૃથ્વીનું સતત મોનિટરિંગ થતું રહે એવી સુવિધા વિકસાવી છે. એ સુવિધા એટલે જીપીએસ. તેના દ્વારા દુનિયાના કોઇપણ ખૂણે રહીને જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે. ઇસરો ભારતમાં જ આ સુવિધા વિકસાવી રહી છે. ભારતની આ સર્વિસ ઇન્ડિયન રિજનલ સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ નામે ઓળખાશે. આ સુવિધા માટે જરૂરી ઉપગ્રહો ગોઠવાઇ ચૂકયા છે. હવે ટૂંકસમયમાં જ એ શરૂ થઇ જશે. યુરોપ અને ચીન પણ આ પ્રકારની સિસ્ટમ પર કામ કરી રહ્યા છે. પરંતુ ભારત તેમનાથી આગળ નીકળી ગયું છે.
એક સમયે ભારત પર રાજ કરનારા બ્રિટને આજે ઉપગ્રહ લોન્ચિંગ માટે ભારત પાસે આવવું પડે છે. કેમ? કેમ કે, જગતના ૯ દેશો પાસે જ સેટેલાઇટ લોન્ચિંગની સુવિધા છે અને તેમાં બ્રિટનનો સમાવેશ થતો નથી.
ઇસરો હવે સ્પેસમાં મોકલી શકાય એવું વાહન એટલે કે સ્પેસ શટલ તૈયાર કરી રહ્યું છે. ગયા વર્ષે ભારતે તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. સિયાચીન સરહદે ફરજ બજાવતા લશ્કરી જવાનોનું મોત ઘણી વખત અસહ્ય ઠંડીથી થાય છે. તેનો ઉપાય શોધી કાઢતાં ઇસરોએ સિલિકા એરોજેલ નામની જગતનો સૌથી હળવો પદાર્થ તૈયાર કર્યો છે. આ પદાર્થ તેના ગરમાટાને કારણે જવાનોને ઠંડી સામે રક્ષણ આપી શકશે. સિયાચીન સહિતના હિમાલય વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા જવાનોના જેકેટમાં એરોજેલનું પડ વણી લેવાશે.