પ્રજ્ઞાદાદભાવાલા… એટલે એક લેખિકા, કુશળ કાર્યક્રમ નિર્દેશક અને મિલન સારસ્વભાવ સાથે નુંમળતાવડુંવ્યક્તિત્વ. ગુજરાતીસાહિત્યને, તેનીસર્વશ્રેષ્ઠરચનાઓનેવિદેશમાંપણલીલીછમરાખવાનુંઉમદાકાર્યકરતાપ્રજ્ઞાબેનએએકગૌરવશાળીગુજ્જુમહિલાછે. માતૃભૂમિઅનેમાતૃભાષાથીદૂરથઇગયેલાગુજરાતીઓમાંપોતાનીભાષાપ્રત્યેજાગૃતિકેળવાયએવાઉમદાઆશયસાથેપ્રવૃત્તએવાઆપ્રજ્ઞાબેનનોઆવો, થોડોવધુપરિચયમેળવીએ…
ગુજરાત ગૌરવદિને ભજવાયેલું અને ખૂબ જ વખણાયેલ નાટક ‘હું ગુજરાતી અમે ગુજરાતી’ નાટકના પ્રોડ્યુસર પ્રજ્ઞાબેન છે..
ગુજરાતની કલા, સંસ્કૃતિ અને સાહિત્યને વિદેશમાં એટલે કે અમેરિકાની ધરતી ઉપર લીલીછમ રાખવાનું કાર્ય કરતાં પ્રજ્ઞાબેન દાદભાવાલા એ એક ગૌરવશાળી ગુજ્જુ મહિલા છે.
આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષા તરફ સન્માનભરી દૃષ્ટિ અને ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા હોય કે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હોય. તેમની સર્વશ્રેષ્ઠ રચનાઓને સંગીત-કાવ્ય અને નાટકો દ્વારા કેલિફોર્નિયાના ગુજરાતીઓ સમક્ષ પ્રસ્તુત કરનાર પ્રજ્ઞાબેન દાદભાવાલા લેખિકા, કાર્યક્રમ નિર્દેશક અને મિલનસાર સ્વભાવના મહિલા છે.
‘શબ્દોનું સર્જન’, ‘કસુંબલ ગીતોનો વૈભવ’, ‘સંભારણા’ જેવા અનેક બ્લોગ ચલાવતા પ્રજ્ઞાબેન સતત ગુજરાતી સાહિત્યના વારસાને જાળવવાનું અને તેના વિકાસનું કાર્ય કરતાં જોવા મળે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. આપણો અમૂલ્ય સાહિત્યનો વારસો ભાષાએ સાચવ્યો છે. આ ભાષાની, સંસ્કૃતિની રખેવાળી કરવી અને દિન-પ્રતિદિન ઉત્તરોત્તર તેમાં પ્રગતિ કરવી તેને વધુ ને વધુ લોકપ્રિય બનાવવાનું કાર્ય પ્રજ્ઞાબેન કેલિફોર્નિયાના ફ્રીમોન્ટ અને સાન્ટા કલેરામાં કોમ્યુનિટી એમ્બેસેડર તરીકે કરી રહ્યાં છે.
અમેરિકાની ધરતી પર ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યને ધબકતું રાખવા કેલિફોર્નિયામાં ‘પુસ્તક પરબ’, ‘ડગલો’ અને બે એરિયા ગુજરાતી સમાજ ‘બેઠક’ આ ત્રણે સંસ્થાઓ ખૂબ જ મહત્ત્વનો સક્રિય ભાગ ભજવી રહી છે. ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેન ગુજરાતી ભાષાના સંવર્ધન માટે અને ગુજરાતી ભાષાના નવા સર્જકોની સર્જનશક્તિ ખીલવવા ભગીરથ પુરુષાર્થ કરી રહ્યાં છે. આ સર્જનમાં વાંચન, લેખન, વકતૃત્વ કળા, વાર્તા, નિબંધો, ગઝલ, સંગીત, અભિનય વગેરેનો સમાવેશ કરીને ગુજરાતી ભાષાને સમગ્ર વિશ્ર્વમાં વહેતી રાખીને ‘બેઠક’ના તમામ સર્જકોને ગિનીઝ બુકમાં સ્થાન આપવામાં તેઓ સફળ રહ્યાં છે.
પ જૂન, ર016ના રોજ બે એરિયા ગુજરાતી સમાજ ઑફ નોર્ધન કેલિફોર્નિયા દ્વારા ‘ગુજરાત ગૌરવદિન’ ઉજવાયો હતો અને એ ગૌરવવંતા દિને ‘સંવર્ધન માતૃભાષાનું’ આ મહાગ્રંથ (12,000 પેજ)નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેની નોંધ ગિનીશ બુકમાં લેવામાં આવી. આ મહાગ્રંથએ માત્ર રેકોર્ડ બ્રેક પુસ્તક નથી પરંતુ તેમાં 100થી વધુ લેખકોનો પરદેશમાં ભાષાને જીવતી રાખવાનો અમૂલ્ય પ્રયત્ન છે. આ મહાગ્રંથને તૈયાર કરવાની જવાબદારી માતૃભાષા પ્રેમી શ્રી વિજયભાઇ શાહ, પ્રજ્ઞાબેન દાદભાવાલા, પ્રવીણા કડકિયા, હેમા પટેલ અને પ્રકાશક કિરણ ઠાકરે સંભાળી હતી. પ્રજ્ઞાબેને કહ્યું કે, ‘આપણી માતૃભાષા આખા ગ્રંથમાં કેન્દ્રસ્થાને હતી. આ અમારું એક સ્વપ્ન હતું. માતૃભૂમિ અને માતૃભાષાથી દૂર થઇ ગયેલા ગુજરાતીઓમાં ભાષા પ્રત્યે જાગૃતિ કેળવવી અને નવસર્જકોને પ્રોત્સાહન આપી તેની સર્જન શક્તિને ખીલવવી એ મુખ્ય ધ્યેય રહ્યો છે.’
ગીત, સંગીત, નાટક અને સાહિત્ય સર્જનકલાના કલાકાર એવા પ્રજ્ઞાબેન ફિલોસોફી અને સાઇકોલોજી વિષય સાથેના મુંબઇ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે. તેઓનું મૂળ ગામ પોરબંદર, પણ જન્મથી ઉછેર અને અભ્યાસ મુંબઇમાં થયો. અભ્યાસકાળ દરમિયાન તેઓ ખૂબ જ પ્રવૃત્તિશીલ રહ્યાં હતાં. તેઓએ સાઇકલ રેસિંગ, થ્રો-બોલ, ભરતગૂંથણ, રસોઇ, સંગીત, કાવ્યસર્જન, નાટક વગેરેમાં અનેક ઇનામો માન-સન્માનપત્રો મેળવ્યા છે. કેલિફોર્નિયામાં નાટક અને સંગીતની પ્રવૃત્તિ દ્વારા ગુજરાતી સાહિત્યની રચનાને કલાકાર દીના પાઠક પાસેથી અભિનય કલા પ્રાપ્ત કરેલ છે. રેડિયો નાટકમાં ભાગ લેનાર પ્રજ્ઞાબેને સુપ્રિયા પાઠક અને રત્ના પાઠક સાથે પણ કામ કરીને નાટ્યકલાના પાઠ શીખ્યા હતા. પરિણામસ્વરૂપ ગુજરાત ગૌરવદિનના રોજ ભજવાયેલું અને ખૂબ જ વખણાયેલ નાટક ‘હું ગુજરાતી અમે ગુજરાતી’ નાટકના પ્રોડ્યુસર અને સ્ક્રીપ્ટરાઇટર પ્રજ્ઞાબેન રહ્યાં હતાં.
ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં ‘હાલરડું’ એક વિશેષ ‘ભીનાશ’ ધરાવતું માના ધાવણ પછીનું અતિ મહત્ત્વ ધરાવતું. બાળઉછેરમાં પ્રિયતમ કરતાં પણ વધુ પ્રિય એવું સાહિત્યનું સ્વરૂપ છે. માનું હાલરડું એ પ્રભુપ્રાર્થના કરતાં પણ વિશેષ છે. આવા હાલરડાને ગાવાના અને તેની સ્વરચના કરવાના શોખીન એવા પ્રજ્ઞાબેનને ગુજરાતી લોકસંગીતના મહાસંગીતજ્ઞ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના વરદ્હસ્તે સ્વરચિત હાલરડું પ્રસ્તુત કરવા માટે ઇનામ અને આશીર્વાદ મળેલ છે. પ્રજ્ઞાબેનના કાવ્યો પણ કુમાર માસિકમાં પ્રગટ થયેલ છે. પ્રજ્ઞાબેન આમ ખૂબ જ સંવેદનશીલ, પ્રેમાળ અને સેવાપરાયણ આદરણીય મહિલા છે.
કેનેડાથી પ્રસિદ્ધ થતા લોકપ્રિય ‘ગુજરાત લાઇન’માં ‘આ મુંબઇ છે’ નામની કોલમ લખનાર અને એ કોલમ દ્વારા વાચકોમાં ખૂબ જ પ્રિય થનાર પ્રજ્ઞાબેને મુંબઇ એસ.એન.ડી.ટી. યુનિ.માંથી પત્રકારત્વનો કોર્સ કરેલ છે. એ વખતે તેમણે સાહિત્ય શ્રેષ્ઠી શ્રી સુરેશભાઇ દલાલ, હરિન્દ્ર દવે, પ્રદીપભાઇ તન્ના જેવા પાસે પત્રકારત્વ અને સાહિત્ય સર્જન માટેની ખાસ તાલીમ લીધી હતી. જેના પરિણામે તેઓએ આજે ગિનીઝ બુકમાં સ્થાન પામે તેવા મહાગ્રંથ ‘સંવર્ધન માતૃભાષાનું’ના સર્જનમાં સક્રિય-સફળ-પરિકલ્પના પૂર્ણ યોગદાન આપ્યું.
પ્રજ્ઞાબેન એટલે વિવિધ પ્રવૃત્તિઓનો ખજાનો. પ્રજ્ઞાબેન એટલે વિવિધ રંગોની રંગોળી. મેઘધનુષ્ય જેવું વ્યક્તિત્વ ધરાવતા પ્રજ્ઞાબેન વૃદ્ધોને માર્ગદર્શન અને એકલતા અનુભવતા મા-બાપ, વડીલોને હૂંફ આપવાનું અને તેઓને ખુશી આપવાનું ઉમદા કાર્ય કરે છે. આ માટે તેમણે મોન્ટ હ્યુમન સર્વિસમાંથી ખાસ ટ્રેનિંગ લીધી છે. વડીલોની સેવા કરવામાં તેઓ આશીર્વાદ સાથે અનેક ગણો રાજીપો મેળવે છે. તેમની આ સેવાને કોંગ્રેસમેને, સેનેટરે, સિટી ઓફ મિલ્પીટાસના મેયરે ખૂબ જ માન-સન્માન સાથે નવાજેલ છે.
સતત પ્રવૃત્તિશીલ રહેતાં પ્રજ્ઞાબેનને સૌથી મોટું પ્રોત્સાહન અને સાથ-સહકાર તેમના જીવનસાથી શ્રી શરદભાઇનો રહ્યો છે. 1980માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા શરદભાઇ સાથે પ્રભુતામાં પગલાં પાડી તેઓએ સહજીવન યાત્રા શરૂ કરી. એશિયાના બેસ્ટ પ્રોફેસરનો એવોર્ડ મેળવનાર, યુનિ.ના પ્રોફેસર એવા શરદભાઇ ખૂબ આધુનિક વિચાર-શૈલીવાળા, ઉત્સાહી અને પ્રેરણાદાયી વ્યક્તિ છે. પ્રજ્ઞાબેનની પ્રવૃત્તિના રથને આગળ ધપાવવામાં બંને દીકરીઓ નેહા અને ભૂમિકાનો તેમજ બંને જમાઇનો પણ સારો ફાળો રહ્યો છે. આમ, ફેશન ડિઝાઇનર પ્રજ્ઞાબેન સર્જન સાથે ગુજરાતી ભાષાની અસ્મિતાને જાળવવાનું અભિનંદનીય કાર્ય કરી રહ્યાં છે.