નવીન
નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે…’ બરકત વિરાણી ‘બેફામ’ ની લોકપ્રિય ગઝલની આ શરૂની પંક્તિઓ બે પ્રેમી પંખીડાઓને ખુલ્લી આંખોની પાંપણો બીડીને એકમેકને હ્રદયની દ્રષ્ટિએ નિહાળવાની પ્રેરણા આપીને પોતાની લાગણીઓને વધુ સંવેદનાત્મક રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. તો બીજી તરફ જેમને પોતાની દ્રષ્ટિ જ નથી, જેમને નેત્રહીનતાનું એક જન્મજાત પ્રજ્ઞાતત્વ કુદરતે આપ્યું છે તેવા લોકો તેમની આંગળીઓના ટેરવે આકાશની ઉંચી અટારીઓને આંબે છે. આંગળીઓના આ છ ટપકા એટલે લુઈ બ્રેઈલની બ્રેઈલ લીપીના લિપીબદ્ધ સ્પર્શે નેત્રહીનોએ ‘જીવનની સિકસર મારીને જગતને ચકિત કર્યું છે.’ જેનું ‘સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ’ જીવંત ઉદાહરણ છે. આ સંસ્થા અને તેની સંચાલિત સંસ્થાઓના આંગણે અંધકારથી ભરેલી આંખો અંધારાને આંબીને અંતરની આંખે અને સ્પર્શની પાંખોથી ઉડીને જીવનના મુક્ત આકાશનો ઉન્મત આનંદ માણે છે.
તેની સફળતાને બિરદાવી કુદરતને પણ એક ડગલું પાછળ નાંખી દે તેવી આ સંસ્થાની મહિલાઓ પાસેથી તાલીમ મેળવીને નેત્રહીન બાળાઓ ઘરકામ રસોઈ શીખીને ગ્રહસ્થી ચલાવી રહી છે. તો આધુનિક જગતની ટેકનોલોજિ એવા કોમ્પ્યુટર જ્ઞાન અને બ્યુટી પાર્લરના કોર્સ થકી સુંદરતા મેળવીને અન્યને સુંદરતા આપવાનું કામ કરે છે. બીજી તરફ સંગીતની સુંદર સ્વરાવલિઓ થકી જીવનના અંધકારમાં સુંદર સ્વરો દ્વારા સોનેરી કિરણો પ્રસરાવે છે. આ સંસ્થા દ્વારા તમામ બાળાઓને એવી રીતે પ્રશિક્ષિત કરવામાં આવે છે કે જેથી તેઓ તેમના જીવનને સંસારચક્રના સોનેરી સોંપાને પ્રભુતામાં પગલા માંડવા માટે પણ સક્ષમ બને છે. સંસ્થાના સફળ પ્રયાસો થકી અનેક એવી અનાથ દીકરીઓ કે જે અહીં આવ્યા પછી અનાથ ન રહેતા સંસ્થાની દીકરીઓ તરીકે તેમના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા છે. ઉપરાંત, સંસ્થા દ્વારા કોલેજના પ્રજ્ઞાચક્ષુ યુવાનો માટે અમદાવાદના ઝુંડાલ ખાતે છાત્રાલય શરૂ કર્યુ છે. ક્યાંક બગીચાના બાંકડે સૂઈને અંધારામાં સ્નાન કરીને પોતાની ઉણપ ન જણાય અને આર્થિક દુ:ખ પ્રદર્શિત ન થાય તેવી રીતે શાળાઓ અને કોલેજોમાં જતા વિદ્યાર્થીઓને આ સંસ્થા દ્વારા ભોજન સાથે સૂવા, રહેવા તથા શૈક્ષણિક સાધનોની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
ટેકનોલોજિનો વિકાસ વધતા હાથથી બનાવાતી વસ્તુઓ જેવીકે વાયરની ખુરશીઓ અને ટેબલો સાથે બેઠકોનું સ્થાન લેટેસ્ટ ફર્નિચર્સે લેતા આવા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ભણેલા હોવા છતાં બેકાર હોવાપણું તેમના માટે એક કલંકરૂપ બને છે. જેથી આવા લોકોને મદદરૂપ થવા જમીન ફાળવવા માટેની સરકારને રજૂઆત થઈ છે. વચ્ચે મોરબીમાં આ કાર્ય માટે એક અનોખું અભિયાન ચલાવતા મોરબી રાષ્ટ્રીય સેવા મંડળે જમીન ફાળવી. જેમા ‘સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવન’ સ્થપાયું. મોરબીના વ્યવસાય જગતના પરોપકારીઓના સહિયારા પ્રયાસથી આજે લગભગ 100 જેટલા પ્રજ્ઞાચક્ષુ યુવાનોને રોજગાર મળ્યો છે. આ યુવકોને સંસ્થા દ્વારા ટિફીન સાથે સંસ્થાની બસ અને રીક્ષાઓમાં કાર્યસ્થળે લેવા મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વની વાત એ કે પોતાના પ્રયત્ને તેમણે મેળવેલી આવકને કારણે તેમના ચહેરા પર તરવરતો આનંદ એ જ સંસ્થાના પ્રયાસોનું સર્વોત્તમ વળતર છે. કારણકે સેવાના કાર્યો વળતર પ્રધાન નથી હોતા. તેનો હેતુ સમાજોપયોગી થઈ સમાજનો આર્થિક રીતે સંપન્ન વર્ગ આવા દીન-દુ:ખીઓને મદદ કરવા આગળ આવે તે હોય છે.
સંસ્થાનો હેતુ શુભ અને શુદ્ધ હોવાથી સારા એવા લોકો આ સંસ્થાની કાર્યપ્રવૃત્તિઓની નોંધ લઈ રહ્યાં છે. તે છતાં હજી કેટલાક ધ્યેયો સિદ્ધ કરવાના હોઈ દાતાઓ તરફથી આર્થિક અને અન્ય પ્રકારની મદદ જેવી કે જમીન ફાળવણી, તેમના રહેવા માટે બિલ્ડીંગની સુવિધા અને ભોજનાલય માટેના ખર્ચને પહોંચી વળવા દાતાઓનો સહકાર આવકાર્ય અને ઈચ્છનીય છે.